ગુજરાત સરકારે રાજ્યને ભારતના અગ્રણી મેરિટાઇમ અને શિપબિલ્ડિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવા માટે 'ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026' લોન્ચ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ નવી નીતિનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નીતિ હેઠળ ₹27,000 કરોડથી વધુના રોકાણને આકર્ષવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગુજરાતનો લગભગ 2,340 કિલોમીટર લાંબો દરિયાકિનારો, વિકસિત બંદરો અને મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મેરિન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવા માંગે છે.
પોરબંદરના કુછડી ખાતે મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર
આ નીતિનું મુખ્ય આકર્ષણ પોરબંદર જિલ્લાના કુછડી ખાતે પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ પ્રોજેક્ટ માટે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સરકારના અંદાજ મુજબ, ક્લસ્ટરમાં વિશ્વસ્તરીય શિપયાર્ડ, શિપ રિપેર સુવિધાઓ અને મેરિન આધારિત સહાયક ઉદ્યોગો વિકસાવવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટમાં ₹27,000 કરોડથી વધુના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રોકાણકારો માટે અનેક પ્રોત્સાહનો
નવી પોલિસી હેઠળ રાજ્ય સરકાર રોકાણકારોને અનેક પ્રકારની સહાય પૂરી પાડશે. તેમાં સામેલ છે:
- મૂડી સહાય (Capital Assistance)
- વ્યાજ સહાય (Interest Subsidy)
- સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત
- વીજળી અને પાણીના દરમાં નિર્ધારિત રાહતો
- સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ
- વહેલી તકે રોકાણ કરનાર 'અર્લી બર્ડ' રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહન
સરકારનું માનવું છે કે આ પગલાં રાજ્યમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવામાં મદદરૂપ થશે.
શિપબિલ્ડિંગ ક્ષમતા અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર
પોલિસી મુજબ રાજ્યનો લક્ષ્યાંક 50 લાખ ડેડવેઇટ ટનેજ (DWT)થી વધુ શિપબિલ્ડિંગ ક્ષમતા વિકસાવવાનો છે. ઉપરાંત, બે મેગા શિપબિલ્ડિંગ પાર્કના વિકાસ સાથે 5 લાખથી વધુ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ આપવાનો પણ હેતુ રાખવામાં આવ્યો છે, જેથી મેરિટાઇમ ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર થઈ શકે.
ભારતના મેરિટાઇમ ક્ષેત્રને મળશે વેગ
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, નવી પોલિસીથી શિપબિલ્ડિંગ, શિપ રિપેર, મેરિન ઇક્વિપમેન્ટ ઉત્પાદન અને સંબંધિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સાથે જ રોજગારીની નવી તકો ઊભી થશે અને ગુજરાત ભારતના મેરિટાઇમ ઉત્પાદન ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરી શકશે.
આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન એસ.એસ. રાઠૌર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ