અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)ની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં પ્રિલિમિનરી કસોટીમાં સફળ થયેલા કુલ 51,971 ઉમેદવારો ભાગ લેશે. રાજ્યભરના 279 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં 67 પરીક્ષા કેન્દ્રો પર 11,865 ઉમેદવારો પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ પારદર્શિતા જળવાઈ રહે અને ગેરરીતિ અટકાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. ઉપરાંત, કેન્દ્ર સંચાલકો, સુપરવાઈઝરો, ઓબ્ઝર્વરો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરી તેમને જરૂરી તાલીમ આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે અગાઉ આ પરીક્ષા બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. હાલ હવામાન અનુકૂળ હોવાથી બોર્ડની SOP મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પેપર સવારે 10:30થી બપોરે 1:30 સુધી અને બીજું પેપર બપોરે 3:00થી સાંજે 6:00 સુધી યોજાશે.

Noble
જાહેરાત

પ્રિલિમિનરી કસોટીમાં કુલ 1,47,584 ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાં 70 કે તેથી વધુ ગુણ મેળવનારા 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પાત્ર ઠર્યા છે.

આ મુખ્ય કસોટી દ્વારા ભાષા વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત), વિજ્ઞાન વિષયો (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ગણિત) તેમજ વાણિજ્ય, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર, કૃષિ અને શારીરિક શિક્ષણ સહિત કુલ 21 વિષયોના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવામાં આવશે.